![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-98.jpg)
પાટણઃ અનલોકમાં છૂટથી સંક્રમણ બેફામ, આજે નવા ૪ કેસ આવ્યાં
પાટણમાં આજે બપોરના સમયે કોરોના વાયરસના નવા ૪ કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં ૨, ચાણસ્મા તાલુકામાં ૧ અને વારાહીમાં ૧ મળી નવા ચાર દર્દીઓ નોંધાતા આરોગ્યમાં દોડધામ મચી છે. આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ તમામને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ૪ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કોરોનાનો આંકડો ૨૧૪ પહોંચ્યો છે. આજે પાટણ શહેરની ચાણસ્મા રોડ પર આવેલી ગૃહકમલ સોસાયટીમાં ૪૫ વર્ષિય સ્ત્રી અને ગાયત્રી મંદીર રોડ પરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ ચાણસ્મા તાલુકાના લણવા ગામને રામાપીરના મંદીર પાસેના રબારીવાસમાં પણ ૪૦ વર્ષિય પુરૂષ અને વારાહીના પ્રજાપતિવાસમાં ૬૦ વર્ષિય સ્ત્રીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
પાટણ શહેરમાં લોકલ સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાથી દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે નોંધાયેલા દર્દીઓમાં મોટાભાગે તાવ અને ખાંસીના લક્ષણો જણાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતાં તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આજે ચાર કેસ સાથે જીલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો ૨૧૪ પહોંચતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.