![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-310.jpg)
અંબાજીમાં પાંચમ સુધીમાં પાંચ લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા
યાત્રાધામ અંબાજીમાં અસંખ્ય યાત્રિક સમુદાય ઉમટ્યો હતો. નવા વર્ષે માં અંબાના દર્શન સહીત નજીકના પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહીતના સ્થળોએ સહેલગાહને લઇ છેલ્લા પાંચ દિવસ દરમિયાન યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગો પર વિવિધ યાંત્રિક વાહનોનું જાણે કીડિયારું ઉભરાયું હતું. અંબાજીમાં ચોવીસ કલાક ટ્રાફિક ધમધમ્યો હતો.
અમાસના દિને ગ્રહણને લઇ માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું. જ્યારે બેસતા વર્ષે જ મંદિરના દ્વાર ખુલતાં જ મંગળા આરતીથી માંડી દિન પર્યન્ત દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. બેસતા વર્ષે જ પરોઢે એક ભક્તનું માતાજીના દર્શન કરતાની સાથે જ હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
પાંચમ સુધીમાં પાંચ લાખથી પણ વધુ યાત્રિકોએ માં અંબાના દર્શન, એક સો જેટલા પદયાત્રી સંઘોનું ધ્વજારોહણ સાથે રૂપિાય 41,14,702 રૂપિયાનો મોહનથાળ, 3,50,075 ની ચીક્કીના પ્રસાદનું વિતરણ થવા પામ્યું હતું. એ સાથે 24 થી 29 ઓક્ટોબર દરમિયાન 125.37 ગ્રામ સોનાના ઘરેણાં, 146.23 ગ્રામ લગડી અને 2385.7 કી.ગ્રા. ચાંદીની ભેટ આવક મંદિરમાં થઇ હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ભંડારાની ગણત્રી હજુ બાકી હોવાનું ઉમેર્યું હતું.