![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-304-scaled.jpg)
મુડેઠા ગામે અશ્વ દોડથી જમીન ધણ ધણી ઉઠી
(રખેવાળ ન્યૂઝ)મુડેઠા, ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈ બીજ ના દિવસે ચુંદડી આપવાનો કોલ ૭૫૯ વર્ષથી વધુ સમયથી નિભાવી રહ્યા છે. જેમાં ભલાણીપાર્ટી, ખેતાણીપાર્ટી, દુદાણીપાર્ટી, રાજાણીપાર્ટી એમ ચાર પાર્ટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવા બે મણનું લોખંડનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનો વચન પૂરું કરવા અશ્વો ઉપર સવાર થઈ બેસતા વર્ષે રાત્રે મુડેઠા ગામે સમસ્ત ગામ ભેગું થઈ બખ્તર ધારણ કરી ભાઈબીજના દિવસે લાખણી તાલુકાના પેપળુ મુકામે જાય છે અને પેપળુ ગામે રાત્રે રોકાણ કરે છે એને પેપળુ ગામમાં ગ્રામજનો અને મહંત દ્વારા કંકુ તિલક કરવામાં આવે છે તેમજ માન-સન્માન સાથે રાત્રિ રોકાણ માટે ઉતારો આપવામાં આવે છે.
એક દંતકથા અનુસાર આજથી ૭૫૯ વર્ષ પહેલાં રાજસ્થાનમાં આવેલા જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ ના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈ.સ ૧૩૦૦ ની સાલમાં અલાઉદ્દીન ખીલજી ના લશ્કરે જાલોરના રાજવી વિરમસિંહ ચૌહાણ ના રજવાડા ઉપર હુમલો કર્યો હતો તેમની પોતાની કુંવરી ચોથબાને એક સાધુ મહાત્મા અંચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો જેમાં રક્ષણ માટે નકળંગ ભગવાન નો પાટ સાથે આપવામાં આવ્યો હતો અને સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા ફરતા આવ્યા હતા તે સમયે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાઘેલા રાજા રાજ કરતા હતા એથી મહાત્મા અંચળનાથે કુંવરી ચોથબાના લગ્ન દેવુસિંહ વાઘેલા સામે પ્રસ્તાવ મૂક્યો હતો
જેમાં ચોથાબાને ભાઈ ન હતા જેથી મુડેઠા ના રાઠોડ પરિવારના ભાઈઓને ધર્મના ભાઈ બનાવ્યા હતા જેથી ચોથબાએ ભાઈ બીજના દિવસે લોખંડનું સવા બે મણનું બખ્તર પહેરીને ચુંદડી લઈને આવવાનું વચન માગ્યું હતું દર વર્ષની જેમ ભાઈબીજના દિવસે બખ્તર પહેરીને ચુંદડી લઈને લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે અને આ વર્ષોની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે જેમાં આ સાલ રાજાણીપાર્ટીના રાઠોડ સુરસિંહ ધુડાજીએ બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે ભાઈબીજના દિવસે ચુંદડી અર્પણ કરીને બહેનનો ૭૫૯ વર્ષ જુનો આપેલો કોલ નિભાવ્યો હતો અને આજે પણ તે પાટ પેપળુ મુકામે મોજૂદ છે ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવી ભાઈ બીજ ના દિવસે વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠા ગામે ભવ્ય અશ્વદોડ યોજાઈ હતી જેમાં ૪૦૦ થી વધુ અશ્વોએ અને ૧૦૦ થી વધુ ઊંટો સવારો એ ભાગ લીધો હતો અને ભવ્ય અશ્વદોડ યોજાય હતી જેમાં સમસ્ત મુડેઠાના ગ્રામજનો અને આગેવાનો અને શ્રી નકળંગ યુવક મંડળના તમામ સભ્યો તેમજ લાખો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી તેમાં શ્રી નકળંગ યુવક મંડળ સભ્યો અને ગ્રામજનો દ્વારા સરસ અશ્વદોડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સવા બે મણનું બખ્તર હાલમાં પણ હયાત છે
હજારો વર્ષ જૂનું આ બખ્તર છે જે તે વખતે સાડા બારમણનું બખ્તર હતું અત્યારે સવા બે મણનું બખ્તર હાલમાં છે અને બખ્તર ધારણ કરનાર વ્યક્તિના ઘરે આવનાર ભાઈબીજ સુધી સાચવીને બખ્તરને એક વર્ષ સુધી પુજા અર્ચના કરવામાં આવે છે અને સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવામાં આવે છે.
મુડેઠા ગામમાં ૪૦૦થી વધુ અશ્વો છે.
ગામના અગ્રણી બચુભા ફતેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારા ગામમાં ૪૦૦થી વધુ ઉંચી ઓલાદના અશ્વ છે અને આવી કાળઝાળ મોંઘવારી અને ઘાસચારો મોંઘો છતાં પણ આ ગામની અંદર લોકો ભાઈબીજના દિવસે બહેનને ચુંદડી આપવાનો કોલ માટે ગ્રામજનો અશ્વ રાખે છે અને હજારોની સંખ્યા માં લોકો અશ્વદોડ નિહાળવા ઉમટી પડે છે.