![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/14-1.jpg)
ઈડીએ જામીનનો વિરોધ કર્યો,જેકલીન દેશ છોડી ભાગવાની ફિરાકમાં હતી
ઠગ સુકેશની જાળમાં ફસાયેલી બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ ખતમ નથી થઈ રહી. જેકલિન આજે કોર્ટમાં હાજર થયા પછી તેના વચગાળાના જામીન ૧૦મી નવેમ્બર સુધી વધારી દેવાયા છે. જોકે, જેકલિનની રેગ્યુલર બેલના વિરોધમાં ઈડીનું કહેવું છે કે જેકલીને તપાસ વખતે પુરાવા સાથે ચેડાં કર્યા હતા અને દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતી.સુકેશ ચંદ્રશેખરના રૂ. ૨૦૦ કરોડના મની લોન્ડરિંગના કેસમાં જેકલિને શનિવારે કોર્ટમાં હાજરી આપી હતી, જેને પગલે કોર્ટે તેના વચગાળાના જામીન લંબાવ્યા હતા. ઈડીએ તેના જામીનનો વિરોધ કરતાં કહ્યું કે તે ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દખલ કરી શકે છે. ઈડીએ જેકલીનના રેગ્યુલર જામીનનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું કે તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસ દેશ છોડીને ભાગી જવા માગતી હતી, પરંતુ એલઓસી હોવાના કારણે તે સફળ થઈ શકી નહોતી. જેકલીને તપાસમાં પણ સહયોગ આપ્યો નથી. વધુમાં તેણે તેનો મોબાઈલ ડેટા ડીલીટ કરી નાંખ્યો હતો. તપાસ દરમિયાન તેનું વર્તન પણ યોગ્ય નહોતું. તે પુરાવા અને સાક્ષીઓને નુકસાન પહોંચાડી શકે છે. આ દલીલો સાથે ઈડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીનને જામીન આપવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે તેના વકીલને પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશે કહ્યું છે કે રૂ. ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનો કોઈ હાથ નથી. અભિનેત્રીને મળેલી બધી જ ભેટ-સોગાદો અને નાણાં તેમના સંબંધનો ભાગ હતા. સુકેશે એમ પણ કહ્યું કે, ૨૦૦ કરોડ તેને રેનબેક્સીના ભૂતપૂર્વ માલિકની તરફેણ કરવા માટે અપાયા હતા. આ પત્રમાં સુકેશે દાવો કર્યો છે કે ઈન્ડોનેશિયામાં તેનો કોલસાની ખાણનો બિઝનેસ છે. હોટેલ અને ન્યૂઝ ચેનલના સ્ટોક છે, જે તેણે વેચી દીધા છે.