દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનને બેનામી સંપત્તિ મામલે તમામ કાર્યવાહી બંધ કરી
AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને બેનામી સંપત્તિના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માએ કેસની સુનાવણી કરતા સત્યેન્દ્ર જૈન સામે બેનામી એક્ટ હેઠળ તમામ કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ગયા મહિને દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, સુધારેલા બેનામી એક્ટ હેઠળ સત્તાવાળાઓ દ્વારા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કોઈ કાર્યવાહી, બળજબરી કરવામાં આવશે નહીં. બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2016 હેઠળ સત્યેન્દ્ર જૈન અને અન્યો સામે કાર્યવાહી શરૂ કરવા સામેની અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો હતો.આ મામલે પ્રતિક્રિયા આપતા AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, સત્યેન્દ્ર જૈન સામેનો કેસ કોર્ટે ફગાવી દીધો છે. તેઓએ એક પ્રામાણિક માણસને આટલા મહિનાઓથી બળજબરીથી જેલમાં રાખ્યો હતો. આ લોકો ખોટા કેસ કરવાને બદલે પોતાનો સમય રાષ્ટ્ર નિર્માણના કામમાં લગાવે તો કેટલું સારું.2017માં આવકવેરા વિભાગે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ 2017 હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી અને તેમના પર બેનામી કંપનીઓ હેઠળ જમીન ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. સત્યેન્દ્ર જૈને તે જ વર્ષે અરજી દાખલ કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કથિત વ્યવહાર 2011થી માર્ચ 2016 વચ્ચે થયો હતો અને તેથી નવેમ્બર 2016માં અમલમાં આવેલો સુધારો લાગુ થશે નહીં.