સાબરકાંઠામાં સારા વરસાદે ખુશ ખેડૂતોને પાછોતરા વરસાદથી પાકોમાં નુકશાન થવાની ભીતિ
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસતાં પાછોતરા વરસાદને લઇ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું. સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું. છેલ્લા બે દિવસ વરસેલા પાછોતરા વરસાદને લઈ મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે. જેને કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.
વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલી મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે. આ અંગે ખેડૂત વિપુલ પટેલ અને કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, કપાસમાં હાલનો સમય વિણામણનો છે અને તે જ સમયે વરસાદ વરસતાં તૈયાર કપાસ પીળો પડી જશે સાથે રોગચાળો પણ આવવાની દહેશત રહેલી છે. તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને કારણે જમીનમાંથી નીકળેલી મગફળી ભીંજાઈ હોવાથી જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી. જમીનમાં જે મગફળી છે તેને ઉપાડવાનો સમય પણ થઈ ચૂક્યો છે, પરંતુ વરસાદને લઇ હવે નિકળી શકશે નહીં અને મગફળી જમીનમાં જ ફરીવાર ઉગવા લાગશે એટલે કે, હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે એટલે કે, ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવો પડશે.