સોનલ ગરબો શિરે…અંબે મા ચાલો ધીરે ધીરે…
કોરોનાના કારણે બે વર્ષ બાદ સરકારે નવરાત્રિમાં ગરબા ઉજવણીની છૂટ આપી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ વખતે પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર, વડગામ, લાખણી જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવ સાથે શેરી ગરબાનું આયોજન થયું છે.પાર્ટી પ્લોટોમાં પણ રાસ ગરબાની રમઝટ જામે છે. જ્યાં ખાસ કરીને યુવાધન હિલોળે ચઢ્યું છે.તો શ્રધ્ધાળુ અબાલ વૃદ્ધ પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. જેથી મોડી રાત સુધી રાસ- ગરબાની રમઝટ જામે છે. શહેરો સાથે ગ્રામીણ વિસ્તારોમાં આવેલ આસ્થા સમાન મંદિરોના ચાચર ચોકમાં પણ અસલ શેરી ગરબાની અનેરી રંગત જામે છે. માથે ગરબો કે બેડુ મૂકી ગરબે ઘૂમતી મહિલાઓ શેરી ગરબાને સજીવન રાખી રહી છે. કોરોના કાળની ખોટ ભરપાઈ કરતા નવરાત્રિની રંગત પૂરેપૂરી જામી છે. સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના તાલે ગવાતા પ્રાચીન- અર્વાચીન ગરબાઓ ખેલૈયાઓને થિરકવા મજબૂર કરે છે. તેથી નવરાત્રિની રાતો જીવંત બની ગઈ છે. કોરોનાને ભૂલી હર કોઈ માં જગદંબાની આરાધનામાં તલ્લીન જાેવા મળે છે.