![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-388.jpg)
અરવલ્લીમાં નવરાત્રી પર્વને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઘટ સ્થાપન કરાયું
અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જ્ઞાતિના લોકો પોતાની કુળદેવીના સ્થાનકે ઘટસ્થાપન કરી માતાજીના જ્વારા વાવતા હોય છે. ત્યારે મંગલપુર રાજપૂત સમાજ દ્વારા પણ કુળદેવી નાગણેશ્વરી મંદિરે ઘટસ્થાપન કરવામાં આવ્યું માતાજીની મૂર્તિ આગળ માટીમાં સપ્ત ધાન્ય વાવી બે માટીના ઘટ મુકવામાં આવે છે. પાણી સિંચન કરી માતાજીના જવારા ઉગાડવામાં આવે છે. યજમાન દ્વારા નવ દિવસ સુધી પાણીનું સિંચન કરવામાં આવે છે અને સરસ જવારા તૈયાર થાય છે. છેલ્લે દિવસે માતાજીનું નિવેદ અને હવન થાય છે. તે દિવસે જવરા ને તલવાર વડે વાઢીને જવારા હોમવામાં આવે છે. આમ, અનોખી પદ્ધતિથી માતાજીની ઘટ સ્થાપના કરવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં નાના ભૂલકાઓની પણ માતાજી પર અનોખી શ્રદ્ધા હોય છે. ખેતરમાંથી ચોખ્ખી માટી લાવી ઘાસ ઉમેરીને આબેહૂબ ગબ્બર તૈયાર કરવામાં આવે છે. ગબ્બર આસપાસ કુદરતી વનરાજી હોય એવી રચના કરવામાં આવી છે. આસપાસ માટીની ગરબી મુકવામાં આવે છે અને માતાજીના ગોખમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરી નવ દિવસ સુધી પૂજા-આરતી અને રોજ રાત્રે માતાજીના ગરબા થાય છે. આમ પરંપરાગત રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીનું ઘટસ્થાપન અને ગબ્બર બનાવી ભક્તિ અને શક્તિની આરાધના કરવામાં આવે છે.