![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-387.jpg)
સાબરકાંઠામાં જળાશયોમાં પાણીની આવક યથાવત
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સારા વરસાદને લઈને જળાશયોમાં આવક થવાથી બે જળાશય અને એક બેરેજ 100 ટકા ભરાયો છે. તો એક જળાશય 92 અને એક જળાશય 73 ટકા ભરાયું છે. તો છેલ્લા એક મહિનાથી હાથમતી ઓવરફ્લો થઇ રહ્યો છે. જેને લઈને નદીમાં વહી જતા પાણીને કેનાલમાં વહેવડાવી પ્રાંતિજ તાલુકામાં ચાર નાના જળાશયો અને 15 તળાવો ભરાયા છે. હાલમાં પણ હાથમતી જળાશય ઓવરફ્લો થવાનું યથાવત છે.
જીલ્લામાં 92.92 ટકા ભરાયેલો ગુહાઈ અને 100 ટકા ભરાયેલા હરણાવ જળાશયમાં પાણીની આવક બંધ છે. તો 100 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં 400 ક્યુસેક પાણીની આવક અને 400 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો નોંધનીય છે કે આજે હાથમતી જળાશયને ઓવરફ્લો થયે એક મહિનો અને એક દિવસ થયો છે અને હજી ઓવરફ્લો થઇ રહ્યો છે. 100 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજમાં 730 ક્યુસેક પાણીની આવક અને 730 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો 73.86 ટકા ભરાયેલા ખેડવા જળાશયમાં 75 ક્યુસેક પાણીની જાવક અને 60 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.