મુખ્યમંત્રીએ અંબાજીમાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યુ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાત મુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હડાદ રોડ પર ચીખલા ખાતે યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્યમંત્રીની મુલાકાત પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ આનાવાડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, અગ્રણી ગુમાનસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, પ્રવાસન સચિવ હારિત શુક્લા, વિકાસ કમિશનર સંદીપકુમાર, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.