જુના અને નવા સર્વે નંબર વચ્ચે જમીનની ઘટ પડી; બનાસકાંઠા જિલ્લામાં નદીઓની જમીન ગુમ થયાના કિસ્સાઓ બાદ હવે તળાવોની જમીન ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની 74,444 ચોરસ ફૂટ જેટલી જમીન ગુમ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે શહેરના એક જાગૃત નાગરિકે જમીન દફ્તર કચેરી અને નગરપાલિકાને લેખિત રજૂઆત કરીને જમીનની માપણી અને દબાણ દૂર કરવાની માંગ કરી છે.
પાલનપુર નગરપાલિકા હસ્તકનું માનસરોવર તળાવ નવાબ શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું અને તે પાલનપુરના નગરજનો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતું. જુના સર્વે નંબર મુજબ આ તળાવનું ક્ષેત્રફળ 98,541,265 ચોરસ મીટર હતું. જોકે, જુના સર્વે નંબરો પરથી પાડેલા નવા બે સર્વે નંબર મુજબ, તળાવનું હાલનું ક્ષેત્રફળ 91,742 ચોરસ મીટર દર્શાવવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે જુના અને નવા સર્વે નંબર વચ્ચે 6800 ચોરસ મીટર (74,444 ચોરસ ફૂટ) જેટલી જમીનની ઘટ્ટ પડી છે. શહેરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાલાએ આ મામલે પાલનપુર નગરપાલિકા અને જમીન દફ્તર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે આ ગુમ થયેલી જમીનની તાત્કાલિક માપણી કરવામાં આવે અને જો કોઈ દબાણ હોય તો તેને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવે.
નગરપાલિકાની બેદરકારી; તાજેતરમાં જ પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવના બ્યુટિફિકેશન પાછળ નવ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં, તળાવની આટલી મોટી જમીન ગુમ થવા અંગે કોઈ તપાસ કરવામાં ન આવતા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. પૂર્વ વિપક્ષ નેતા અંકિતા ઠાકોર અને એનએસયુઆઈ મહામંત્રી નીતિન ડાકાએ આ મામલે તપાસની માંગ કરી છે.
ચીફ ઓફિસર દ્વારા તપાસનું આશ્વાસન; પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે માનસરોવર તળાવની જમીન અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ મામલે માપણી વિભાગને જાણ કરી હોવાનું અને માપણી બાદ દબાણ જણાશે તો તેને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલો દર્શાવે છે કે જાહેર સંપત્તિના સંરક્ષણ પ્રત્યે તંત્રની જવાબદારી કેટલી મહત્વની છે. શું આ તપાસ યોગ્ય રીતે થશે અને ગુમ થયેલી જમીન પાછી મેળવી શકાશે? તેવો પ્રશ્ન પ્રજામાં પુછાઇ રહ્યો છે.


