મુખ્ય આરોપી લાલા મંડોરાને ઉદેપુરથી દબોચી લેતી પોલીસ
પાલનપુર અમદાવાદ હાઇવે પર 20 ડિસેમ્બરના રોજ પૈસાની લેતીદેતી મામલે બે યુવાનો પર ઘાતકી હુમલો થયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. જે ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલતા બનાસકાંઠા પોલીસે ગણતરીના દિવસોમાં 06 આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુર-અમદાવાદ હાઇવે પર હોટલ પાસે આવેલા પાર્લર પર ગત 20 ડિસેમ્બરની રાત્રે પૈસાની લેતીદેતી મામલે ગાદલવાડા ગામના ભરત ચૌધરી અને નીતિન ચૌધરી નામના 2 યુવક પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ચૌધરી સમાજના યુવકનું મોત નિપજતા રોષે ભરાયેલા સમાજે આરોપીઓને ઝડપી લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો. અંતે પોલીસે આરોપીઓને જલ્દી ઝડપી લેવાની ખાતરી આપી મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલા મંડોરા સહિત 25 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો.દરમિયાન, બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પોલીસની 10 જેટલી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવામાં પોલીસ સફળ રહી હતી. જેમાં હત્યા કેસનો મુખ્ય આરોપી લાલો ઉર્ફે ભાર્ગવ મંડોરા રહે.તુલસીપાર્ક સોસાયટી, ગોબરીરોડ પાલનપુરવાળાને રાજસ્થાનના ઉદેપુરથી દબોચી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા 5 આરોપીઓને પણ અલગ અલગ ટીમોએ અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા હતા. પૈસાની લેતી દેતી મામલે હત્યાને અંજામ આપનાર 06 આરોપીઓને હાલમાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું ડીવાયએસપી ડો. જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ
(૧) ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઇ મંડોરા (માળી) રહે.તુલશીપાર્ક સોસાયટી, ગોબરી રોડ, પાલનપુર.
(૨) રીકી નોયલ રોકસ્બ્રો રહે.પાલનપુર.
(૩) ભરતજી ભુરાજી રાજપુત રહે.ટડાવ તા.ઢીમા જી.વાવ થરાદ.
(૪) ભૌતિકકુમાર જગદીશભાઇ પરમાર રહે.પરખડી તા.વડગામ.
(૫) ગણપતભાઇ સેનજીભાઇ ચૌહાણ (ઠાકોર) રહે.ગઠામણ તા.પાલનપુર.
(૬) અનિલભાઇ શંકરભાઇ બાવરી રહે.તારાનગર, બાવરી ડેરા, પાલનપુર

