કર્ણાટકના મેંગલુરુમાં આવેલી જિલ્લા જેલમાં બુધવારે 45 કેદીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહેવાલો અનુસાર, બપોરનું ભોજન કર્યા પછી કેદીઓને પેટમાં તકલીફ થવા લાગી. બુધવારે તમામ 45 કેદીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ બાદ સરકારી વેનલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ આ કેદીઓમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેદીઓને બપોરના ભોજનમાં ભાત-સાંભાર અને નાસ્તામાં ‘અવલક્કી’ અથવા પોહા પીરસવામાં આવતા હતા
શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ એક કેદી સિવાય, અન્ય તમામ કેદીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગની ટીમે કેદીઓના પીવાના પાણી, સવારનો નાસ્તો અને બપોરના ભોજનના નમૂના એકત્રિત કર્યા છે અને તેમને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. કેદીઓને દાખલ કર્યા પછી અગ્રવાલે હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે હોસ્પિટલમાં કેદીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો સાથે પણ વાત કરી.