પાંચ બેઠકો પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી
કુલ 16 બેઠકો પૈકી 9 બિનહરીફ, 7 પર હજી 20 ઉમેદવારો
બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે દાંતા, દાંતીવાડા, વાવ, દિયોદર અને લાખણી બેઠક પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વાવ, દિયોદર અને લાખણી મળી વધુ ત્રણ બેઠકો બિનહરીફ થઇ છે. જોકે અત્યાર સુધીમાં કુલ 16 પૈકી 9 બેઠક બિનહરીફ થઇ છે. જ્યારે 7 બેઠક પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે.
બનાસ ડેરીના નિયામક મંડળના 16 સભ્યોની ચુંટણીમાં પહેલા છ બેઠક બિન હરીફ થયા બાદ વાવ, દિયોદર અને લાખણી બેઠક પર એક-એક ઉમેદવારી પત્રો પરત ખેંચાતાં આ ત્રણ બેઠક બિનહરીફ થઇ છે. જોકે બુધવારે દાંતા બેઠક પર પાંચમાંથી બે ઉમેદવારે, દાંતીવાડામાં ત્રણમાંથી એક ઉમેદવારે, વાવમાં એક દિયોદરમાં એક અને લાખણીમાં એક મળી છ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે પાલનપુરમાં બે, વડગામમાં સાત, દાંતામાં ત્રણ, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુરમાં બે-બે મળી આ સાત બેઠકો પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની મુદત 29 સપ્ટેમ્બર છે. તેથી હજી વધુ ફોર્મ પરત ખેંચાવાની શકયતા છે. તેથી ફરી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ બનવા તરફ અગ્રેસર છે.

