એલસીબીનું સફળ ઓપરેશન : 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા
બનાસકાંઠા જિલ્લાના મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તોડતી રીઢા તત્વોની ગેંગને ઝડપી પાડવામાં એલ.સી.બી. પાલનપુરને મહત્વની સફળતા મળી છે. પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી ૧૦થી વધુ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.સરહદી રેંજ ભુજના આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા બનાસકાંઠા એસ.પી. પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા એલ.સી.બી. પી.આઈ. એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન પી.એસ.આઈ. પી.એલ. આહીરની ટીમને જૂના ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી.
જેના આધારે ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં ભાવેશભાઈ પીરાજી ઠાકોર (રહે. લોરવાડા, તા. ડીસા),ભરતસિંહ ચંપુજી રાઠોડ (રહે. મુડેઠા, તા. ડીસા) લક્ષ્મણસિંહ અજમલજી રાઠોડ (રહે. મુડેઠા, તા. ડીસા) ને ઝડપી લીધા હતા.જ્યારે અન્ય ત્રણ આરોપીઓ કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારણસિંહ વાઘેલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૪૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ: રૂ. ૩૦,૦૦૦/-મોબાઈલ ફોન (૦૩ નંગ): રૂ. ૧૦,૫૦૦/-ગુનામાં વપરાયેલ લોખંડનો સળીયાનો સમાવેશ થાય છે.આ ટોળકીની પૂછપરછમાં ડીસા રૂરલ અને ભીલડી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે,આરોપીઓએજૂના ડીસાના સરયુનગરમાં ખેતલાબાપાનું મંદિર અનેલોરવાડા ખાતે આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં ચોરીની કબૂલાત કરી હતી. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એ.વી. દેસાઈ, પી.એસ.આઈ. પી.એલ. આહીર, આર.બી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાર્યવાહી કરી ડીસા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે.

