સ્ટાર સ્પિનર શ્રેયંકા પાટિલ અને લેગ-સ્પિનર પ્રિયા મિશ્રા ભારતીય મહિલા ‘એ’ ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. આ પ્રવાસમાં તેમની ભાગીદારી 10 જુલાઈના રોજ BCCI દ્વારા આપવામાં આવેલી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત હતી, પરંતુ બંને ખેલાડીઓ હાલમાં ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને પરત ફરવાના પ્રોટોકોલનું પાલન કરી રહી છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, શ્રેયંકા પાટિલ અને પ્રિયા મિશ્રાને ઈજાગ્રસ્ત હોવા છતાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમની વાપસીની તારીખ એક અઠવાડિયાથી વધુ લંબાવવામાં આવી છે. જેના કારણે તેમની ફિટનેસ ક્લિયરન્સ ઓછામાં ઓછી 7 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારી T20 શ્રેણી સુધી મુલતવી રાખવામાં આવી છે.
મહિલા પસંદગી સમિતિએ ફક્ત યાસ્તિકા ભાટિયાને ODI ટીમમાં સામેલ કરી છે. બે ઇજાગ્રસ્ત સ્પિનરોના સ્થાને ધારા ગુર્જર અને પ્રેમા રાવતને બધા ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પસંદગી સમિતિ ભાટિયા પર નજર રાખવા માંગે છે કારણ કે મહિલા ODI વર્લ્ડ કપ શરૂ થવામાં ઘણો ઓછો સમય બાકી છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ભારતીય ટીમનો ભાગ હતી, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

