આરોગ્ય તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં : દર્દીઓ રામ ભરોસે
ભાભર તાલુકાના મીઠા ગામે ચોકડી ઉપર આવેલી એક પાણીપુરીની લારી ઉપરથી પાણીપુરી ખરીદીને ખાતાં ફુડ પોઈઝનની અસર થતાં ૧૭ જેટલા લોકોને પ્રાઈવેટ દવાખાને સારવાર લેવાની નોબત આવી છે. મીઠા ગામે ચોકડી ઉપર પાણીપુરીની લારી હોવાથી અલગ અલગ ગામના લોકો પાણીપુરી ખરીદી ઘરે લઈ જઈને ખાતાં હોય છે. ત્યારે શનિવારે સાંજે પાણીપુરી ખાવાથી ફુડ પોઇઝનની અસર થતાં ૧૭ જેટલા લોકોને ઝાડા ઉલટી થતાં પ્રાઈવેટ દવાખાને સારવાર લેવા ગયા હોવાનાં આક્ષેપ ઉઠી રહ્યા છે. જોકે કોઈ દર્દીએ સરકારી દવાખાને સારવાર લીધી નથી. જેથી સત્તાવાર આંકડો જાણી શકાય તેમ નથી. પરંતુ આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં સરી પડ્યું હોય તેમ આવી ઘટનાથી પણ અજાણ છે. જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકાના અસાણા ગામના ચતુરજી પ્રતાપજી ઠાકોર પરિવારના છ લોકોને મીઠા ચોકડીની એક લારી ઉપરથી ખરીદીને ઘરે જઈને પાણીપુરી ખાધાં બાદ ઝાડા ઉલટી થતાં પ્રાઈવેટ દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અન્ય લોકોની પણ આવી હાલત થઈ છે ત્યારે જવાબદાર તંત્ર ચોમાસામાં રોગચાળો ફેલાય તે પૂર્વે સજાગતા દાખવે તેવો જનમત પ્રવર્તે છે.

