ઈન્ડિયન રેલવેનો મોટો નિર્ણય : જે લોકો ૧૩થી ૨૬ ઓક્ટોબરની વચ્ચે યાત્રા કરશે અને ૧૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બરની વચ્ચે વાપસી કરશે, તેમને કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે
દિવાળી અને છઠને લઈને રેલ મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવાર દરમિયાન ૧૨ હજાર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે કન્ફર્મ ટિકિટ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. બિહારમાં એનડીએ નેતાઓએ છઠ અને દિવાળી દરમિયાન રેલવેની વ્યવસ્થાને લઈને અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ બિહારમાં એનડીએના નેતાઓ સાથે મીટિંગ બાદ આ જાહેરાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ નિર્ણય લેવાયો છે કે દિવાળી અને છઠ તહેવાર માટે ૧૨,૦૦૦ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.રેલ મંત્રીએ આગળ કહ્યું કે, મુસાફરોને બે મોટા તહેવારો પર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એટલા માટે આ નિર્ણય લેવાયો છે. જે લોકો ૧૩થી ૨૬ ઓક્ટોબરની વચ્ચે યાત્રા કરશે અને ૧૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બરની વચ્ચે વાપસી કરશે, તેમને કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે. તેની સાથે વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. વાપસીની યાત્રા પર ૨૦ ટકાની છૂટ આપવામાં આવશે.
રેલ મંત્રીએ કહ્યું કે, આ પ્રયોગ આ તહેવારી સિઝન દરમિયાન કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જ દિલ્હી, સહરસાથી અમૃતસર, છપરાથી દિલ્હી અને મુઝફફરપુરથી હૈદરાબાદ માટે ૪ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. પૂર્ણિયાથી પટના માટે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે.

