ડીસા પંથકમાં ઠંડીના ઘટાડા સાથે ટેટી-તરબૂચના વાવેતરના ‘શ્રી ગણેશ’

ડીસા પંથકમાં ઠંડીના ઘટાડા સાથે ટેટી-તરબૂચના વાવેતરના ‘શ્રી ગણેશ’

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાતા જ ખેતીવાડી ક્ષેત્રે નવી હલચલ જોવા મળી રહી છે. ઉતરાયણના પર્વ બાદ વાતાવરણમાં ગરમાવો આવતા જ ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ ફળો એટલે કે ટેટી અને તરબૂચના વાવેતરના શ્રી ગણેશ થઈ ગયા છે. બટાટાના ગઢ ગણાતા આ પંથકમાં હવે ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા છે.

​​સામાન્ય રીતે ટેટી અને તરબૂચના પાકને શરૂઆતમાં મધ્યમ તાપમાનની જરૂર હોય છે. ચાલુ વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં ઠંડીનું જોર ઘટતા જ ખેડૂતોએ ટ્રેક્ટરો અને મજૂરો સાથે ખેતરોમાં ડેરો જમાવ્યો છે. ડીસાના રામપુરા, માલગઢ અને આજુબાજુના ૫૦થી વધુ ગામોમાં અત્યારે હજારો હેક્ટરમાં વાવેતરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.આધુનિક ખેતી તરફ વળેલા ડીસાના ખેડૂતો હવે પરંપરાગત પદ્ધતિને બદલે મલ્ચિંગ પેપર અને ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિ) નો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિથી પાણીની બચત થાય છે. ફળની ગુણવત્તા અને મીઠાશ જળવાઈ રહે છે. નીંદણ ઓછું થાય છે અને પાક વહેલો તૈયાર થાય છે.

ખેડૂતો અત્યારે વહેલું વાવેતર કરીને માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં પાક તૈયાર કરી દેવા માંગે છે. જો માર્કેટમાં વહેલી ટેટી અને તરબૂચ આવે તો ખેડૂતોને મણ દીઠ ઉંચા ભાવ મળવાની શક્યતા રહે છે. ગત વર્ષના સારા અનુભવને જોતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થવાનો અંદાજ છે.​ડીસાની ટેટી અને તરબૂચ માત્ર ગુજરાત જ નહીં, પણ દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી નિકાસ થાય છે. અહીંની રેતાળ જમીન ટેટીના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી ફળની સાઈઝ અને સ્વાદ અન્ય વિસ્તારો કરતા ચડિયાતા હોય છે. અત્યારે ખેડૂતો સારા વરસાદ અને સાનુકૂળ હવામાનની આશા સાથે કુદરત પાસે મીઠા ફળની કામના કરી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *