(જી.એન.એસ) તા. ૨૭
ગાંધીનગર,

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન બાદ રાજ્યપાલશ્રી સહિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાકૃતિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રો. કંપની લી., રમીબા અને રમાબા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, નીર પ્રાકૃતિક ફાર્મ, પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, આણંદ, નવસારી, સરદાર કૃષિનગર દાંતીવાડા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિધાનસભા સચિવ શ્રી સી.બી.પંડ્યા સહિત વિધાનસભા અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

