લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જેલ હવાલે
(જી.એન.એસ) તા. ૨૫
મહુવા,
સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બહુચર્ચિત એવા બગદાણા નવનીતભાઈ બાલધિયા પર હુમલાના કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરની SIT એ ધરપકડ કરી હતી. ત્યારે, રવિવારે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી નામંજૂર કરી હોવાની માહિતી સામે આવી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે કરાયા છે. ગઈકાલે SIT એ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં જયરાજ આહીરની સંડોવણીનાં પૂરાવા મળતા ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગરના બગદાણામાં સેવક નવનીતભાઈ બાલધીયાને માર મારવાના કેસમાં SIT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે હેઠળ શનિવારે SIT દ્વારા જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કેસમાં સંડોવણીનાં પૂરાવા મળતા જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SIT એ રાત્રે જયરાજ આહીરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.
આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, બે વખતની પૂછપરછ બાદ SIT દ્વારા આજે ચુસ્ત પોલીસ કાફલા સાથે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી દીધી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી અને તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે થયા છે. માહિતી અનુસાર, રેન્જ IG કચેરીથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા લવાયા હતા. જયરાજ આહીરની રજૂઆત સમયે કોર્ટમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જજ સમક્ષ હાજર કરાતા જ સીધો જેલ હવાલે કરવાનો હુકમ કરાયો. ચાલુ હિયરિંગ દરમિયાન જામીન માંગ્યા પણ કોર્ટે અરજી ફગાવી દીધી.

