(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર/ અમદાવાદ,
છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ફરી મનમૂકીને વરસ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના નાંદોદમાં 4.69 ઈંચ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ પંચમહાલના હાલોલમાં 3.70 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં પણ 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ હવામાન વિભાગે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બનશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
આજથી થી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અને આ નવરાત્રિ પહેલા હાલ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે. આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે.

