સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે થઈ રહેલા પર્યાવરણ ને નુકસાન પર મંત્રી મુકેશ પટેલે બોલાવી બેઠક
(જી.એન.એસ) તા. 24
સુરત,
સુરતમાં ઉદ્યોગોના કારણે પર્યાવરણ ને મોટાપાયે નુકસાન થતું હોવાના કારણે, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં મંત્રી દ્વારા હવા, પાણી સાથેજ અન્ય કોઈપણ પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ઉદ્યોગકારો ને ચેતવણી આપવામાં આવી હતી કે, પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખજો.
છેલ્લા ઘણા સમયથી સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગકારો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાંથી નીકળતા કેમિકલ યુક્ત દુષિત પાણી સીધા ગટરમાં છોડી દેતા નદી નાળાઓ દુષિત થઇ રહ્યા છે, કીમ નદીમાં છાશવારે આવા દુષિત પાણી ઠાલવવાની ઘટના બનતી રહે છે. નદીમાં મોટા પ્રમાણમાં માછલાઓ મૃત અવસ્થામાં નદીના પાણી પર તરતા જોવા મળે છે. ઓલપાડના સાયણ આશિત આજુબાજુના વિસ્તારોમાં પણ નાના મોટા 1500થી 200 ઓદ્યોગિક એકમો ઘણા ઓછા સમય માં સ્થાય થયા છે.
સુરત જિલ્લા સહિત આસપાસના મોટા ભાગના ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલ યુક્ત દુષિત પાણી ખુલ્લે આમ વરસાદી પાણી નિકાલ માટેની કાશ ગટર તેમજ નાળાઓમાં છોડી દેવામાં આવતા હતા. જેને લઇ સાયણ સહિત આજુબાજુના ખલીપોર, સીવાણ સ્યાદલા સહિતના ગ્રામજનો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવી હતી જેને લઇ આજરોજ રાજ્યના પ્રયાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારોની એક બેઠક બોલાવી હતી. ઉદ્યોગકારોને સ્પષ્ટ શબ્દોમાં સૂચનો આપી દેવામાં આવી હતી અને પાણી છોડવાનું બંધ નહી કરવામાં આવે તો મિલો બંધ કરી દેવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી હતી.
હવા અને પાણીમાં પ્રદૂષણ ની ગ્રામજનો દ્વારા સતત કરવામાં આવતી ફરિયાદો અને વિરોધને લઇ જીપીસીબી પણ હરકતમાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના સભ્યને સાથે રાખી સાયણ સહિત આજુબાજુના ગામોમાં મિલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક મિલોમાં ક્ષતિ જોવા મળી હતી. મિલોમાં કેટલીક જગ્યાએ પરમીશન વગર બોર કરવામાં આવ્યા હતો તો કેટલી મિલોમાં કેમિકલ યુક્ત દુષિત પાણી સીધું ગટરમાં છોડવામાં આવી રહ્યું હતું. એક મિલમાં તો રીવર્સ બોરિંગ કરી કેમિકલ યુક્ત દુષિત પાણી સીધું ભૂગર્ભમાં ઉતરતા હોવાનું પણ મળી આવ્યું હતું.
જીપીસીબી દ્વારા 8 જેટલી મિલોને ક્લોઝર નોટીસ પણ ફટકારવામાં આવી હતી. જીપીસીબીની તપાસ દરમિયાન એક આખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા ઈટીપી માંથી નીકળતું પાણી જેને ઈવિપોરેટ કરવાનું હોઈ છે તેને પણ પાઈપ લાઈન દ્વારા ગટરમાં છોડતું હોવાનું મળી આવ્યું હતું. જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ પણ આડકતરી રીતે ઉદ્યોગકારોને સલાહ આપી દીધી હતી કે, તમે સીઈપીટી સાથે જોઈન્ટ નહી થાવ તો તમારે ઉદ્યોગ બંધ કરવા પડશે.


