કોંગ્રેસ પોતાના પારંપારિક ગઢો અને સંગઠન પર આધાર રાખીને ચૂંટણી લડશે
(જી.એન.એસ) તા. 8
અમદાવાદ,
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં, બંને પક્ષો સ્વતંત્ર રીતે લડશે. રાજ્યની નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓ માટે કોંગ્રેસે આપને મોટો ઝટકો આપ્યો છે. જેમાં દરેક પક્ષ પોતપોતાની રણનીતિ મુજબ તૈયારી કરશે. ગુજરાતના રાજકીય માહોલમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરી છે.
પક્ષના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ હવે રાજ્યમાં પોતાની સ્વતંત્ર રાજકીય ઓળખ મજબૂત બનાવવા ઈચ્છે છે અને કોઈપણ પ્રકારના ગઠબંધનથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે સ્થાનિક સ્તરે પક્ષ પોતાનાં બળે જ ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે અગાઉની ચૂંટણીઓમાં અન્ય પક્ષો સાથે ગઠબંધનથી અપેક્ષિત પરિણામ મળ્યાં ન હતાં, તેથી હવે પક્ષ પોતાના સંગઠન અને મતદાતાઓ વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ઈચ્છે છે. રાજ્યભરમાં પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ કરવામાં આવશે.
તો બીજી બાજુ, AAP માટે આ નિર્ણય મોટો રાજકીય પડકાર છે, કારણ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના મતદારોને મોટાપાયે ખેંચી શકી હતી, પરંતુ હવે સ્થાનિક ચૂંટણીઓમાં તે પોતાનાં બળે જ ટક્કર આપશે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં ત્રિપક્ષીય ટક્કર સર્જાવાની સંભાવના છે.
ભાજપ સામે કોંગ્રેસ અને AAP બંને અલગ અલગ મોરચા પર મેદાનમાં ઉતરશે. આગામી મહિનાઓમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓમાં દરેક પક્ષ માટે પોતાની સંગઠન શક્તિ અને જનસમર્થન પરખાવાનો સમય હશે. હાલના પરિસ્થિતિ મુજબ કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે હવે કોઈ પણ ગઠબંધનની જગ્યાએ પોતાની સ્વતંત્ર રાજકીય લાઇન પર આગળ વધશે.

