(જી.એન.એસ) તા. ૨૬
ગાંધીનગર,
પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત ઉનાળુ બાજરીના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે લેવાના વિવિધ પગલાં વિશે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ખેડૂતોએ બાજરીની વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઇએ. બાજરી સાથે મગનું ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી સાંઠાની માખી અને ગાભમારાની ઇયળના ઉપદ્રવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બિયારણનો દર ૪ થી ૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઇએ અને પારવણી વખતે સાંઠાની માખી તથા ગાભમારાની ઈયળથી નુકસાન થયેલા છોડ દૂર કરવા જોઇએ. જે તે વિસ્તારમાં બાજરાનું વાવેતર એકસાથે કરવા ભલામણ કરવામાં આવી છે. આગળ-પાછળ વાવેતર કરવાથી જીવાતોનો ઉપદ્રવ વધે છે.
કુતુલ રોગના નિયંત્રણ માટે બિયારણને ફૂગનાશક દવા એપ્રોન ૩૫ એસ.ડી. ૬ ગ્રામ પ્રતિ કિલોગ્રામ અથવા રીડોમિલ ૮ ગ્રામ પ્રતિ કિલોગ્રામ મુજબનો પટ આપવો જોઇએ. સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના અસરકારક નિયંત્રણ માટે વાવેતર સમયે થાયોમિથોક્ઝામ ૩૫ એફ.એસ. ૯ મી.લી. પ્રતિ કિલોગ્રામ બિયારણ અથવા ઈમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ. ૯.૦ મી.લી. પ્રતિ કિલોગ્રામ બિયારણને પટ અવશ્ય આપવો જોઇએ.
આ ઉપરાંત સાંઠાની માખીના નિયંત્રણ માટે નિમાર્ક ૩૦ મી.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૦.૦૫ ટકા સાથે ૪ ગ્રામ સાબુ પ્રતિ એક લિટર પાણીમાં મિશ્ર કરી બાજરીના ઉગાવા બાદ ૧૦, ૨૦ અને ૩૦ દિવસે એમ ત્રણ છંટકાવ કરવા જોઇએ. જૈવિક ખેતીમાં પાકના ઉગાવા પછી ૨૦ અને ૪૦ દિવસે બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ ટકા વે.પા. ૦.૦૦૭ ટકા – ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા પંચગવ્ય ૩ ટકા – ૩૦૦ મી.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં આ મિશ્રણના બે છંટકાવ કરવા જોઇએ.
વધુમાં જણાવ્યા અનુસાર, સાંઠાની માખી અને ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૫૦ એસપી ૦.૦૫ ટકા – ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા થાયોડીકાર્બ ૭૫ ડબ્લ્યુપી ૦.૧૫ ટકા – ૨ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી આ મિશ્રણનો છંટકાવ કરવો જોઇએ તેવું માર્ગદર્શિકામાં જણાવાયું છે.
આ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી જોઇએ. વધુ વિગતો મેળવવા ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક – વિસ્તરણ અથવા નાયબ ખેતી નિયામક -તાલીમનો સંપર્ક કરવા ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

