(જી.એન.એસ) તા. 20
બેંગલુરુ,
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ માટે અનેક રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કર્ણાટકના બેંગલુરુ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં કારણે જનજીવન અસ્વીસત થઈ ગયું હતું સાથેજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી.
રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ લોકોના મોત થયા છે, 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વિસ્તારના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા, અંડરપાસ અને ફ્લાયઓવર પર પાણી ભરાઈ ગયા છે, વાહનવ્યવહાર પણ કલાકો સુધી ઠપ્પ રહ્યો અને બેંગલુરૂના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે.
કર્ણાટકના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરૂમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. BBMPના ચીફ કમિશ્નર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે.
સોમવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ દક્ષિણ બેંગલુરૂમાં ડોલર્સ કોલોની, બીટીએમ લેઆઉટ 2જી સ્ટેજમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 63 વર્ષીય મનમોહન કામથ અને 12 વર્ષીય સુરક્ષા ગાર્ડના પુત્ર દિનેશનું વીજળીના કરંટથી મૃત્યુ થયું. પહેલા માળે રહેતા કામથે પાણી બહાર કાઢવા માટે મોટર ખરીદી. તે જ સમયે, ગાર્ડ ભરતનો પુત્ર દિનેશ કામથને મદદ કરવા બહાર આવ્યો. જ્યારે મોટર પ્લગ ઇન કરવામાં આવી, ત્યારે બંનેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. અન્ય રહેવાસીઓ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. નોંધનીય છે કે, દિનેશ ત્રણ મહિના પહેલા તેના માતા-પિતા સાથે નેપાળથી બેંગલુરુ આવ્યો હતો.
કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અનુસાર, કોરામંગલા, બસવનગુડી, મરાઠાહલ્લી અને એચએઍલ ઍરપોર્ટ જેવા અન્ય વિસ્તારોમાં પણ 90 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. યેલહંકાના 29માંથી 20 તળાવો સંપૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જંકશન પાણીમાં ડૂબી ગયું હતું. શહેરના કેન્દ્ર, ડબલ રોડ, રિચમંડ ટાઉન અને શાંતિ નગરમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગંભીર પૂરને કારણે ઇલેક્ટ્રોનિક્સ સિટી ઍલિવેટેડ એક્સપ્રેસ વે અને મરાઠાહલ્લી તરફ જતો આઉટર રિંગ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય જાહેર પરિવહન સેવાઓ પર ભારે અસર પડી છે. શાંતિનગરમાં આવેલા BMTC બસ ડેપો પાણીમાં ડૂબી ગયું હતું. BMTCના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ડ્રાઇવરો અને કંડક્ટરો સવારે 6 વાગ્યે પહોંચ્યા, ત્યારે તેઓ બસો બહાર ન કાઢી શક્યા. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ ઑફિસ પણ પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ રૂમમાં રાખેલા સત્તાવાર રૅકોર્ડને નુકસાન થયું હતું.



