હવે જોવાનું રહ્યું કે આ પ્રકારના વિવાદિત બોર્ડ લગાવનાર સામે કોર્પોરેશન શું પગલા લે છે અને પોલીસ પણ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે
(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
શહેરમાં લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, તેમજ મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ ખુબજ સારી કામગીરી કરે છે તે વાત તો નક્કી જ છે પરંતુ અમદાવાદ એક સુરક્ષિત શહેર હોવાના દાવા સામે સવાલ ઉઠાવતા વિવાદાસ્પદ બોર્ડ શહેરના ચાંદલોડિયા બ્રિજ પાસે લગાવવામાં આવ્યા છે. નવરાત્રિ પહેલાં આ પ્રકારે બોર્ડ લગાવવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. આ બોર્ડ પરનું લખાણ મહિલાઓની સુરક્ષાને બદલે તેમના પર દોષારોપણ કરતુ હોય તેવું લાગી રહ્યું છે.
આ બોર્ડ પર લખેલા વાક્યો જેવા કે, “એ રંગલી રાતની પાર્ટીમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઇ શકે” અને “અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઇ જવું નહીં” એ ભારે રોષ જગાવ્યો છે. આ લખાણ સીધું મહિલાઓને દોષિત ઠેરવતું અને તેમના પહેરવેશ કે વર્તન પર સવાલ ઉઠાવતું હોવાનું મનાય છે.
શહેરની એક ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા કથિત રીતે ‘સસ્તી પબ્લિસિટી’ મેળવવા માટે આ ભદ્દા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓની સુરક્ષા સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે ‘એ…રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં… રેપ-ગેંગરેપ થઈ જાય તો….? અન્ય એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ‘એ…રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં… રેપ-ગેંગરેપ થઈ શકે છે.’
એક બોર્ડ પર લખ્યું છે કે સ્પોન્સર બાય અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ.
ઉલ્લેખનીય છે કે, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સુરક્ષા એજન્સી પાસે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળ આવતી હોસ્પીટલમાં પણ સિક્યોરીટી નો કોંટ્રાકટ ચાલુ તેમાં પણ થોડા સમય પેહલા એક વિવાદ થયો હતો.
જાહેર રસ્તા પર આ પ્રકારના વિવાદાસ્પદ લખાણવાળા બોર્ડ લગાવીને સુરક્ષા એજન્સીએ પોતાનું પ્રમોશન કર્યું છે, તે વાત તો સ્પષ્ટ દેખાઈ રહી છે.
જો કે તે વાત મહત્વની છે કે શું આ બોર્ડ લગાવવા માટે કોર્પોરેશન પાસેથી કોઈ પ્રકારની મંજૂરી લેવાઈ છે ખરી ??? કે પછી મૌખિક રીતે સાહેબ જોડે વાત થઇ ગઈ છે એટલે વાંધો ની આવે ??? આવા વિવાદિત લખાણવાળા બોર્ડ મુદ્દે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોર્પોરેશન દ્વારા આ અંગે કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે.
હવે જોવાનું રહ્યું કે અમદાવાદ મહાનગર પાલિકા કોઈ પ્રકારના પગલા લે છે??? અમદાવાદ શહેર પોલીસ પણ આ મામલે ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે ??? કારણ કે આ પ્રકારના વિવાદાસ્પદ લખાણ લોકોમાં ભય, સરકારી તંત્ર અને પોલીસ માટે ખોટી ઇમ્પ્રેશન ઉભી કરે છે.
પોલીસ વિભાગ દ્વારા સતત જાહેર જનતાની સુરક્ષા અને સલામત માટે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવે છે સાથેજ પેટ્રોલિંગ પણ નિયમિત સમયાન્તરે કરવામાં આવે છે પણ આ પ્રકારના બોર્ડ થી તે વાતો પર સવાલો ઉઠે છે જે તદન અયોગ્ય કહેવાય…



