(જી.એન.એસ) તા. 1
વડોદરા,
બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું હતું જેને ડેરીની બોર્ડ મીટિંગ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ રાજીનામું એવા સમયે મંજૂર થયું છે જ્યારે ડેરીમાં દૂધ મંડળીના હિસાબો અને વહીવટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેને કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે, બરોડા ડેરી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે. જેમાં દૂધના ભાવો ન મળવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, મેનેજીંગ ડિરેક્ટરના અચાનક રાજીનામાથી ચર્ચાઓ થઈ હતી. તો બરોડા ડેરીના MD પદે હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. જોકે, નવા અધિકારી સાથે સુચારુ સંકલન જળવાઈ રહે તે માટે અજયકુમાર જોશી આગામી એક મહિના સુધી ફરજ પર ચાલુ રહેશે.
બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ આ મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારે દૂધ મંડળીઓમાં મૃત વ્યક્તિઓના નામે દૂધ ભરાવીને પૈસા ઉપાડવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય અજીત ઠાકોરે પણ બરોડા ડેરીના સમગ્ર વહીવટ સામે અનેક આક્ષેપો લગાવ્યા હતા. જોકે, ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.


