ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાનમાં સર અને અફરતફરીનો માહોલ
(જી.એન.એસ) તા. 7
પંજાબ,
ભારતીય સેન દ્વારા બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ડર અને અફરતફરીનો માહોલ છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે.
પંજાબના મુખ્યમંત્રી એ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ જિલ્લાઓના વહીવટી એકમોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, બધા ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે, રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી ન રહે તે માટે નાગરિક સંરક્ષણ સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને તેનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધા બાદ હવે આંશિક રીતે ખોલવામાં આવી રહ્યું છે.’
તેમજ જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા, પંજાબ સરકારે તાત્કાલિક અસરથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, આજે યોજાનારી બધી પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ અફવાઓને અવગણવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.