પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લઈ સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે

પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લઈ સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે


આપણે સૌ એક પરિવારના લોકો છીએ, એકબીજાના સહયોગી બની, આગળ વધવામાં એકબીજાને મદદ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં વસનાર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ, જૈન, બૌદ્ધ, પારસી સહિત તમામ ધર્મ અને જાતિના લોકો માતૃભૂમિ માટે સમર્પિત છે. દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને ત્રણેય સેનાની વીરતાના પરિણામે દેશના દુશ્મનો ગણતરીના સમયમાં ઘૂંટણીયે પડી ગયા.

રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના આમંત્રણ પર આ કાર્યક્રમમાં પધારેલા ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના ગુજરાતમાં વસતા લોકોને આવકારીને  તેમનું સ્વાગત કર્યું હતું તથા સ્થાપના દિવસ માટે અભિનંદન પાઠવ્યા હતા.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાથી રાજભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા વિશાળ દેશના ભિન્ન પહેરવેશ, બોલી, રિતરીવાજો, ખાન-પાન અને સંસ્કૃતિથી લોકો પરસ્પર પરિચિત થાય તેમજ વિભિન્ન રાજ્યના લોકો એકબીજાને મળે, એકબીજાની સંસ્કૃતિને સમજે અને આ માધ્યમથી દેશની એકતા વધુ મજબૂત થાય તેવા આશયથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની પહેલથી દેશના તમામ રાજભવનોમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું કે, ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓને એકતાના તાંતણે બાંધીને દેશને એક પરિવારનું સ્વરૂપ આપ્યું હતું. કોઈ પણ રાજ્યના આપણા રાજ્યમાં વસતા અને સેવા આપતા લોકો આપણા જ રાજ્યનો હિસ્સો છે. આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ. આપણે એકબીજાના સહયોગી બનીએ, એકબીજાથી પરિચય કેળવીએ અને એકબીજાને આગળ વધવામાં મદદ કરીએ તે જ આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ છે.

આ કાર્યક્રમમાં ગોવા,  સિક્કિમ અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના યુવા કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે રાજયપાલશ્રીના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, રાજયપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, એન્ટીકરપ્શન બ્યુરો અમદાવાદના અધિક નિયામક શ્રી બિપિન આહિરે, ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ, સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *