અમરેલી જિલ્લાના ખાંભામાં શિક્ષકોની ઘોર બેદરકારી; 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો

અમરેલી જિલ્લાના ખાંભામાં શિક્ષકોની ઘોર બેદરકારી; 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો


(જી.એન.એસ) તા. 05

અમરેલી,

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈ, 2025થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક દિવસ બેગના ભારથી મુક્તિ આપવાનો છે. આ નવતર પહેલ હેઠળ દર શનિવારે વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવે છે, જેથી તેઓ રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આનંદદાયક શિક્ષણનો અનુભવ કરી શકે. પરંતુ, અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારીએ આ ઉમદા પહેલને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. 

મીડિયા સૂત્રો થકી મળતી માહિતી અનુસાર, ખાંભા પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકોએ શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટવા છતાં ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો વિદ્યાર્થીઓ એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા-તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં હતા. જો કે, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પાંચમી જુલાઈથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલમાં બેગ વગર જોવા મળ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોનું કહેવું છે કે, ‘ધો.1થી 2ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન દોઢ થી બે કિલો, ધો.3થી 4ના વિદ્યાર્થીઓની બેગનું વજન 3 કિલો અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની બેગનું વજન 4 કિલો હોય છે. સપ્તાહમાં એક દિવસ તેમને આ ભારમાંથી મુક્તિ મળશે તે મોટી વાત છે.’

ખાંભા પે.સેન્ટર કુમાર શાળાની આ ઘટના શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની ગંભીર ઉણપ દર્શાવે છે. બેગલેસ ડે જેવી સકારાત્મક પહેલનો લાભ લેવા માટે શિક્ષકો અને શાળા વહીવટની સતર્કતા જરૂરી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે શાળાઓએ સખત પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.

બેગલેસ ડે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સકારાત્મક પગલું છે, પરંતુ તેનો સફળ અમલ શિક્ષકો, આચાર્યો અને શાળા વઈવટની જવાબદારી પર નિર્ભર છે. ખાંભાની આ ઘટના એક ચેતવણી છે કે સારી નીતિઓનો અમલ સચોટ રીતે થાય તો જ તેનો લાભ મળી શકે. આપણે સૌએ સાથે મળીને ખાતરી કરવી જોઈએ કે વિદ્યાર્થીઓનું શિક્ષણ અને સુરક્ષા હંમેશાં પ્રથમ સ્થાને રહે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *