આ વર્ષની 148મી રથયાત્રામાં જોડાનાર 17 હાથીઓની શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ચકાસણી
રથયાત્રાના દિવસે પણ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તથા વન વિભાગની ટીમ પણ હાથીઓની સાથે રહેશે
(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે રંગેચંગે તૈયારીઓ થઈ રહી છે. શણગારેલા હાથીઓ રથયાત્રાનું અનેરું આકર્ષણ રહ્યા છે. આ વર્ષે 17 જેટલા હાથીઓ રથયાત્રામાં જોડાનાર છે. આ હાથીઓની શારીરિક-માનસિક હેલ્થની દરકાર અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા સુપેરે લેવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર 23મી જૂનથી હાથીઓના શારીરિક-માનસિક આરોગ્યનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. તમામ હાથીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને તેમને હેલ્થ સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરવામાં આવે છે. વેટરનરીની ટીમ દ્વારા તેમને કોઈ માખી કે ઇતરડી જેવા જંતુઓ પજવતા હોય તો તેને દૂર કરવામાં આવે છે તથા નાની-મોટી બીમારી હોય તો તેનું નિદાન કરીને સારવાર કરવામાં આવે છે. આમ, હાથીની હેલ્થ જળવાઈ રહે, એ માટે પુરતા પ્રયાસો કરવામાં આવે છે.
શ્રી ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા સુધી સતત ત્રણ દિવસ હાથીના શારીરિક-માનસિક હેલ્થનું મોનિટરિંગ કરવામાં આવશે એટલું જ નહિ, રથયાત્રા દરમિયાન પણ અમારી એક ટીમ તથા વનવિભાગની એક ટીમ હાથીઓની સાથે જ રહેશે, જેથી હાથીને કોઈ તકલીફ પડે, એ ઉપરાંત તેમની અકળામણ કે ગુસ્સાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે, તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. કોઈ સંજોગોમાં હાથી માનસિક સંતુલન કે મિજાજ ગુમાવે તો તેને કાબૂમાં લેવા માટે વન વિભાગના કર્મીઓ ડાર્ટ ગન પણ સાથે રાખતા હોય છે.




