(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૦૮ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૩ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ૧૪ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે ૧૨ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૭૩ મૃતકોમાં ૧૩૧ ભારતના નાગરિક, ૪ પોર્ટુગલના, ૩૦ બ્રિટિશ નાગરિક, ૧ કેનેડિયન તેમજ ૬ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે. ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.