ગુજરાત : ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના રિઝલ્ટ અંગે થઈ મોટી જાહેરાત
રખેવાળ, ગુજરાત
વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે, તેમાં પણ ધોરણ ૧૦ અને ૧૨ તેમના જીવનના અમુલ્ય વર્ષ હોય છે. ત્યારે ચાલુ વર્ષે દેશ અને દુનિયામાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખૂબ જ ઊંડી અસર થઈ છે, ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું રિઝલ્ટ જૂનના બીજા વીકમાં આવશે.
કોરોનાના કારણે બોર્ડની જવાબવાહી ચકાસણી મોડી ચાલુ થઈ હતી. જવાબવહી ચકાસણીમાં પણ કોરોનાના લીધે અનેક શિક્ષકો હાજર રહેતા નથી. અત્યાર સુધીમાં ધોરણ ૧૦મા ૬૦ ટકા અને ૧૨ સામાન્ય પ્રવાહમાં હજુ ૨૦ ટકા જ જવાબવાહી તપાસાઈ છે. માત્ર ધોરણ ૧૨ સાયન્સનું રિઝલ્ટ જૂન પહેલા આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. હજુ બધી જવાબવાહીની ડેટા એન્ટ્રી પણ બાકી છે.
રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા છે ૨૮૧૫ જેમાં અમદાવાદના દર્દીઓની સંખ્યા થઈ છે ૧૮૨૧ અર્થાત ૬૪.૬૮ ટકા એટલે કે રાજ્યના કુલ સંક્રમિતોમાં અમદાવાદના કેસ ૬૫ ટકા છે. રાજ્યમાં કોરોના સામે હારી જતાં મોતની સંખ્યા કુલ ૧૨૭ થઈ છે. જેની સામે અમદાવાદમાં કુલ મોતની સંખ્યા ૮૩ થઈ છે. આમ રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ ૬૫ ટકા જેટલું છે. કોરોનાના આંક સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંક સતત વધી રહ્યો છે. આજે નોંધાયેલા નવા ૧૯૧ કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ૨૮૧૫ પર પહોંચી છે.