ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ આજે માણસા નજીક આવેલા તેમના પૈતૃક ગામ જશે અને અહીં તેઓ પોતાના કુળદેવીની પૂજા કરશે. અમિત શાહ ત્યારબાદ પાર્ટીનાં કાર્યકર્તાઓ અને નેતાઓને મળશે.
ગુજરાતમાં પરપ્રાંતિયોનાં મુદ્દાઓને લઇને સ્થિતિ થોડીક કથળેલી છે. આ મુદ્દે અમિત શાહ ચર્ચા કરી શકે છે. પોતાના પર થતા હુમલાઓને લઇને પરપ્રાંતિય ગુજરાત છોડીને પલાયન થઈ રહ્યા છે. આ મામલે અમિત શાહ ભાજપનાં કાર્યકરો સાથે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાઓનાં અનેક બનાવો સામે આવ્યા છે. સાબરકાંઠામાં એક બાળકી પર કરવામાં આવેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર રોષ ફેલાયો હતો અને તેમની પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. હુમલાઓની ઘટનાને લઇને પોલીસે કડક કાર્યવાહી પણ કરી હતી અને હુમલો કરનારા તત્વોને ઝડપી પાડ્યા હતા.
અમિત શાહના નિવાસસ્થાને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બીજેપી આગેવાનોની મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પ્રદેશના સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલા અમિત શાહને મળવા પહોંચ્યા છે. ચૂંટણી સબંધી જવાબદારીને લઈને મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. લોકસાભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ મોરચે લડી લેવાના મૂડમાં ભાજપ છે. ચોક્કસ એજન્ડા સાથે પાર્ટી આગળ વધી રહી છે. અમિત શાહની આગેવાનીમાં નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીને લઇને રણનીતી ઘડવામાં આવશે.