માતાએ માસુમ પુત્રી સાથે રાખી અગ્નીસ્નાન કર્યું, પુત્રીનું સ્થળ પર જ મોત

જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર કાળનો ઓછાયો ફરી વળ્યો છે. એક જનેતાએ તેની જ માસુમ ચાર વર્ષીય પુત્રીને સાથે રાખી, સળગી જઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં માસુમ પુત્રીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે જ્યારે જનેતા હોસ્પીટલના બિછાને ગંભીર હાલતમાં છે. પારિવારિક કંકાસના કરને આ ઘટના ઘટી હોવાના પ્રાથમિક અંદાજ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. બબ્બે વખતનો સંસાર ભંગ થયા બાદ તેણીએ નવ માસ પૂર્વે જ ત્રીજું ઘર માંડ્યું છે.
 
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ઘટેલી ઘટનાની વિગત મુજબ શેરી નં.4માં રહેતા મીનાબેન મીતલભાઇ ચાવડા (ઉ.વ.42) નામના મહિલાએ આજે સવારે દસેક વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઇપણ કારણ સબબ પોતાની ચાર વર્ષીય પુત્રી પ્રિયાંશીને સાથે રાખી શરીરે કેરોસીન છાંટી ભડભડ સળગી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માસુમ બાળકીનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ મીનાબેનને ત્વરીત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
 
જ્યાં તેઓની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે.આપઘાતનો પ્રયાસ કરનાર મીનાબેન સામે પોલીસે પુત્રીની હત્યા નિપજાવવા બદલ ફરિયાદ નોંધી છે. જાણવા મળતી વિગત મુજબ મીનાબેનના બબ્બે વખતના લગ્ન ફોક થતાં ત્રીજી વખત મીતલભાઇ ચાવડા સાથે નવ માસ પૂર્વે જ વધુ એક નવા સંસારની શરૂઆત કરી હતી. પુત્રી પ્રિયાંશીને સાથે લઇ આવેલ મીનાબેને કયાં કારણસર આ પગલુ ભર્યું તેનું ચોકકસ કારણ બહાર આવ્યું નથી. આ બનાવ અંગે ઉદ્યોગનગરમાં મજુરી કામ કરતા તેણીના પતિને જાણ થતાં તેઓ તુરંત ઘર બાદ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. પોલીસે આ બનાવનું કારણ જાણવા માટે વિધીવત તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.