પંજાબના હોશિયારપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની બેદરકારીના કારણે સતત ર્દુઘટનાઓ થતી રહે છે. તાજેતરમાં આવી જ વધુ એક ઘટના જાણવા મળી છે. રવિવારે 8 વર્ષના સાહિલનો સમયસર ઈલાજ ન થવાના કારણે મોત થયું છે. સાહિલને સવારે 7 વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર્સ ન હોવાના કારણે તેનો ઈલાજ ન થઈ શક્યો. સ્ટાફે કહ્યું હતું- ડોક્ટર સાહેબ હમણાં આવે જ છે. 6 કલાક પછી બપોરે એક વાગે ડોક્ટર આવ્યા અને તેમણે પરિવારજનો કહ્યું- આ બાળકનું મોત થઈ ગયું છે. તેને અહીંથી લઈ જાઓ. નારાજ પરિવારજનોએ ડોક્ટર્સ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
પરિવારે બાળકનો મૃતદેહ રાખીને હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળે ડીએસપી, સિવિલ સર્જન પહોંચ્યા પછી પણ વાતનો ઉકેલ નહતો આવ્યો. અંતે ડીસીએ દોષિતોને છોડવામાં નહીં આવે તેવું આશ્વાસન આપ્યા પછી જ હોસ્પિટલમાંથી જામ ખસેડ્યો હતો. પરંતું પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી તપાસ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ બાળકના અંતિમ સંસ્કાર નહીં કરે. ડીસીએ તપાસ સમિતિ બનાવી દીધી છે અને 3 દિવસની અંદર રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમિતિ આ કેસ સિવાય થોડા દિવસ પહેલાં જ ડિલિવરી દરમિયાન બાળકના માથામાં ઈજા કેવી રીતે આવી હતી તે વિશે પણ તપાસ કરશે. આશ્ચર્યની વાત એ છે કે, તપાસ સમિતિના ચેરમેન સિવિલ સર્જનને બનાવવામાં આવ્યા છે જેમના પર હોસ્પિટલના ખરાબ મેનેજમેન્ટનો આરોપ છે.
જ્યારે સાહિલના મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુકવામાં આવ્યો ત્યારે માતા કોમલ તેને ખોળામાં લઈને બેસી ગઈ હતી અને કહેતી હતી કે બેઠા ઉઠ ઘરે જવાનું છે. આટલું જ નહીં બાળકના મૃતદેહ પર તડકો આવવા લાગ્યો ત્યારે તેના મોઢાં ઉપર દુપટ્ટો ઢાંકીને કહેવા લાગી... ચલ બેટા ઘરે જઈએ, તડકો છે.
માતા કોમલે જણાવ્યું હતું કે, જો મારા દીકરાને સમયસર સારવાર મળી હોત તો આજે તે બચી જાત. રવિવારે મારી સાસુ કુકુ દેવી સવારે સાત વાગે સાહિતને લઈને હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ ત્યારે કોઈ ઈમરજન્સીના ડોક્ટર્સ નહતા. નર્સે કહ્યું ડોક્ટર જલદી આવી જશે. બે કલાક સુધી ડોક્ટર્સ ન આવ્યા પછી નર્સે બાટલો ચડાવી દીધો. સાહિલની તબિયત વધારે ખરાબ થતાં તે બેભાન થઈ ગયો. અમે નર્સને જાણ કરી તો તેમણે સાહિલને વોર્ડમાં શિફ્ટ કર્યો. 11 વાગે તેને ભાન આવ્યું અને તે બેઠો થઈ ગયો. થોડી વાર પછી સાહિલની તબિયત વધારે ખરાબ થઈ ગઈ પરંતુ સ્ટાફે ઘ્યાન ન આપ્યું. તેઓ સાહિલને માત્ર ડ્રિપ જ ચડાવતાં હતાં. એક વાગે ડોક્ટર આવ્યા અને તેમણે કંઈ પણ જોયા વિચાર્યા વગર કહી દીધું કે તમારા બાળકનું મોત થઈ ગયું છે તેને અહીંથી લઈ જાઓ. ડોક્ટરની આ વાત સાંભળતા જ પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા. આમ ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હતું.
સાહિલ ઘરનો એક માત્ર દિકરો હતો. પતિ દીપક નીગમમાં સફાઈ કર્મચારી છે. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં એક્સિડન્ટમાં હું અને સાહિલ ઘાયલ થઈ ગયા હતા. હું આજે પણ ઘોડીની મદદથી ચાલુ છું.