વાઇબ્રન્ટ ગુજરાત' નવરાત્રિ મહોત્સવની જાહેરખબરો અને હોર્ડિંગ્સમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ગાયબ થઈ જતા એકવાર મુખ્યમંત્રી રૂપાણી-નીતિન પટેલ વચ્ચે જાણે રાજકીય દાંડિયા રાસ શરુ થઈ ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.મળતી વિગતો મુજબ,વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની જાહેરખબરમાં પીએમ મોદી અને સીએમ રૂપાણીનો ફોટો છે પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો નથી.જો કે અગાઉ પણ રૂપાણી સરકારમાં અનેક વખત નીતિન પટેલનો ફોટો ગાયબ કરી દેવામાં આવ્યો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે આંતરિક મતભેદ વચ્ચે જાહેરખબરમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ થઈ જતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામાં બાદ મુખ્યમંત્રી પદે નીતિન પટેલને બેસાડવા માટેની તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ નીતિન પટેલને સાઈડ લાઇન કરી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા ત્યારથી સીએમ રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે 'કોલ્ડ વૉર' ચાલતુ હોવાનો ભાજપના કાર્યકરો અને નેતાઓ માની રહ્યાં છે.
આટલુ ઓછું હોય એમ પરપ્રાંતિયો ઉપરના હુમલાના મામલે નીતિન પટેલે કરેલા આક્ષેપો સામે 'ઓબીસી-ઠાકોર એકતા મંચ' દ્વારા પ્રેસ કોન્ફેરન્સ કરી નીતિન પટેલ ઉપર પ્રાંતવાદનું ઝેર ઓકવાનો વળતો આક્ષેપ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી બનવાના અભરખા હોવાના કારણે નીતિન પટેલ આમ કરી રહ્યા હોવાનો ઠાકોર સેનાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.