જામનગર: જામનગરમાં ગત રાત્રે બર્ઘન ચોક વિસ્તારમાં મોટર સાયકલ સાથે પસાર થતા એક યુવાનને બે સખ્સોએ આંતરી લઇ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. આર્થિક વ્યવારોને લઈને બંને પક્ષે થયેલ મનદુ:ખ બનાવ પાછળ કારણભૂત ગણવામાં આવી રહ્યું છે. માત્ર 18 હજારની ઉઘરાણીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં છેલ્લા દસ દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બર્ધન ચોક વિસ્તારમાંથી પોતાની મોટર સાયકલ લઇ પસાર થઇ રહેલા રફીક મામદ માડકિયા નામનો ચાલીસ વર્ષીય યુવાન પસાર થતો હતો ત્યારે નજીર બાપુ અને અજુ મણિયાર નામના બે સખ્સોએ આ યુવાનના બાઈકને આંતરી લીધું હતું . દરમિયાન બંને પક્ષે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જોતજોતામાં બંને પક્ષે હાથાપાઈ થવા પામી હતી. જેમાં બંને સખ્સોએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રફીક પર ધારદાર છરી વડે હુમલો કરી પેટના ભાગે ઉપરાઉપરી પ્રહારો કર્યા હતા. જેમાં રફીકને ગંભીર ઈજાઓ પહોચતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. જેથી બંને હુમલાવર તાબડતોબ ફરાર થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં જીવન મરણ વચ્ચેની લડાઈ લડતા અને લોહીના ખાબોચિયામાં પડેલા રફીકને પોલીસે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે હોસ્ટ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે બંને શખ્સો સામે હત્યા સબંધિત ગુનો નોંધી બંને શખ્સોની ભાળ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઇ યુસુબ માડકીયાએ નઝીર ઉર્ફે ગંઢા બાપુ અને અઝરૂ મણીયાર સામે આઇપીસી કલમ 302 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી નઝીર પાસેથી તેઓના ભાઇ 18 હજાર રૂપિયા માંગતા હતાં આ રકમની અવાર-નવાર માંગણી કરવા છતાં આરોપીએ આપી ન હતી. આ બાબતના મનદુ:ખને લઇને બન્ને શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હોવાનો આરોપ લગાવાયો છે.