આજથી ગણપતિ ઉત્સવનો ધામધામથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આજે સુરતમાંથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારના આસ્તિક નગર ખાતે ગણપતિ યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 7 લોકોને ઈજાઓ પહોંચી છે.
સુરતમાં બુધવારના રોજ શહેરની અનેક જગ્યાએ ગણપતિ યાત્રાઓ નીકળી હતી ત્યારે આ બનાવ બનતા ભક્તજનોમાં દુઃખની લાગણી વ્યાપી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગણપતિ યાત્રા દરમિયાન લોખંડનો પાઇટ વીજ લાઈનના ડીપીને અડી જતાં અનેક લોકોને કરંટ લાગ્યો હતો, અને આ દુ:ખદ ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત અને 7 લોકોને ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે તમામ ઈજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, શહેરમાં લગભગ 65 હજાર જેટલી ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.