સુરતમા કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા એક્સિડન્ટમાં બ્રેઈનડેડ જાહેર થયેલા નિવૃત આદિવાસી શિક્ષકના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય લીધો હતો. જેથી તેમના કિડનીનું દાન કરીને પરિવારે માનવતાનું ઉત્તમ કાર્ય કરી અંગદાનનો સંદેશો ફેલાવ્યો હતો. સાથે જ સમગ્ર જીવન વિદ્યાનું સિંચન કરનાર શિક્ષકના અંગદાનથી સમાજને જીવનદાનનો સંદેશો પણ આપ્યો હતો.
જેન્તિભાઈ કેસુરભાઈ વસાવાર (ઉ.વ.આ.59)ના 10 મહિના અગાઉ આંજોલી મુખ્ય શાળામાંથી નિવૃત થયાં હતાં. બે પુત્રી અને એક પુત્રના પિતા જેન્તિભાઈ બાઈક(જીજે 16 એકે 7446) લઈને નેત્રેંગ ચોકડી પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન કાર(જીજે 19 એમ 9602) સાથે તેમની બાઈકનું એક્સિડન્ટ સર્જાયું હતું. જેમાં જેન્તિભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સૌ પ્રથમ સારવાર માટે નેત્રંગમાં પ્રાથમિક સારવાર આપીને એંક્લેશ્વર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ઈજાઓ જેન્તિભાઈને વધુ હોવાથી અંક્લેશ્વરથી સુરત ખાતે મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં જેન્તિભાઈ કોમામાં સરી પડ્યાં હતાં.
તબીબોએ જેન્તિભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. બાદમાં ડોનેટ લાઈફ દ્વારા પરિવારને અંગદાન અંગે સમજણ આપવામાં આવી હતી. જેથી ભાલોદ શિક્ષક મંડળીમાં ઉપપ્રમુખ અને શિક્ષક સંઘના પ્રચાર મંત્રી તરીકે કાર્યો કરનારા જેન્તિભાઈના પરિવારમાંથી ધર્મપત્ની આનંદીબેન, દીકરીઓ અર્ચના, દર્શના અને દીકરા નીતિને અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અંગદાનનો નિર્ણય કરાતાં જેન્તિભાઈની બન્ને કિડનીઓ દાનમાં આપી દેવામાં આવી હતી. નિવૃત શિક્ષક અને જીવનભર લોકોપયોગી કામ કરનારા જેન્તિભાઈની કિડનીથી અન્યોના જીવનમાં નવું જીવન પુરૂં પાડવાનો વસાવા પરિવાર દ્વારા લેવાયેલા નિર્ણય અન્ય માટે પણ પ્રેરણાદર્શક બની રહેશે.
જેન્તિભાઈને સંતાનોમાં બે દીકરી અને એક દીકરો છે. તેમ છતાં સમાજમાં દીકરા જેટલું દીકરીનું મહત્વ છે તે માટે તેમની ઈચ્છા મુજબ દીકરાની સાથે સાથે દીકરીઓ પણ અગ્નિદાહ આપે. જેથી તેમના અંતિમ સંસ્કારમાં દીકરાની સાથે દીકરીઓ જોડાઈ હતી અને અગ્નિસંસ્કાર વખતે અગ્નિદાહ આપ્યો હતો.
દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી જગદીશ કાન્તીભાઈ પટેલ ઉ.વ. ૫3 અને બીજી કિડની પાટણના રહેવાસી કૈલાશબેન રમણલાલ પ્રજાપતિ ઉ. વ. ૫૧માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ છે.