ચક્કવાતી વાવાઝોડું તિતલી આજે સવારે ઓરિસ્સાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ તટ પર 140થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટકરાયું છે. તેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની પણ માહિતી મળી છે. ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. આ વાવાઝોડાંને અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પછી ઓરિસ્સા સરકારે પાંચ તટીય વિસ્તાર ખાલી કરાવી દીધા છે. બંને રાજ્યોમાં થઈને અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ વાવાઝોડું 280 કિમી દૂર બંગાળની ખાડીમાંથી આવ્યું છે. તેની અસરથી 12 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ઉંચી લહેરો પણ આવી શકે છે. ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણીના ભાગ રૂપે બુધવારે સાંજે જ લાખો લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે. હવામાન વિભાગે બુધવારે ચેતવણી આપી હતી કે ગુરુવારે ઓરિસ્સાના ગોપાલપુર, આંધ્રના કલિંગાપટ્ટનમમાં આંધી-વાવાઝોડાની આશંકા છે. આ દરમિયાન 150 કિમી પ્રતિ કલાકથી પવન ફૂંકાય છે. તિતલીની અસર પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક વિસ્તારોમાં પણ જોવા મળશે.
ઓરિસ્સા સરકારે રાજ્યના દરેક જિલ્લા અધિકારીઓને એલર્ટ મોકલી દીધું છે. આ દરમિયાન દરેક ઓફિસરોની રજા રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 11 અને 12 ઓક્ટોબરે દરેક સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ તમિલનાડું, કેરળ અને કર્ણાટકમાં દક્ષિણ-પૂર્વી ચોમાસું સક્રિય થઈ ગયું છે.