પહેલી જાન્યુઆરીએ ૧૮ વર્ષ પૂર્ણ કરતા નાગરિકો મતદાન કરી શકશે
અમદાવાદ
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.૧પ ઓક્ટોબર સુધી ચાલનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આગામી તા.૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં જે યુવાઓની ઉંમર ૧૮ વર્ષ પૂરી થતી હોય તેવા યુવાઓ ત્રણ મહિના પહેલાં જ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. ૧૮ વર્ષથી નાની વયના યુવાઓને મતદારયાદીમાં નામ નોંધાવવાનો ચૂંટણીપંચે આ અનોખી પહેલ સાથે સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય લીધો છે. પહેલી વાર યુવાનીના ઉંબરે ઊભેલા યુવાઓનું ચૂંટણીપંચે ધ્યાન રાખ્યું છે. ચૂંટણી પંચ અને વહીવટી તંત્રના આ નિર્ણયને પગલે રાજયના યુવા વર્ગમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. તા.૧ સપ્ટેમ્બરથી ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ થઇ છે. આગામી દોઢ મહિના એટલે કે તા.૧પ ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે.