રાજકોટના નાગલપર ગામે રહેતી પરિણીતાને તેના પતિએ નજીવી બાબતમાં જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિ ઘરમાં અપશબ્દો બોલતો હોઈ આમ કરવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને કેરોસીન છાંટી આગ ચાંપી દેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, શહેરના મોરબી રોડ પર રહેતા કિરણબેનના લગ્ન 12 વર્ષ પૂર્વે નાગલપર ગામમાં મજૂરી કરતા રણજીત ગોઢાણીયા સાથે થયા હતા. અને બંનેને 9 વર્ષ અને 6 વર્ષ એમ બે પુત્રો પણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પરંતુ ગતરાત્રે પતિ ગાળો બોલતો હોવાથી પત્નીએ આમ ન કરવા કહ્યું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા પતિ રણજીતે કેરોસીન છાટી દિવાસળી ચાંપી દેતા કિરણબેન સળગવા લાગ્યા હતા.
જેને લઈને પતિ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ઘરમાં હાજર રહેલા મોટા પુત્રએ પોતાની માતા પર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. જો કે કિરણબેન પેટ અને ગાળાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પૂછપરછમાં આ પરિણીતાને પતિએ સળગાવી હોવાનું ખુલતા પોલીસે તેણીની ફરિયાદ પરથી રણજીત સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે