ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવતા જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ. યોગી સરકારે માત્ર વચનોની લ્હાણી કરવાને બદલે નક્કર કામગીરી કરીને બતાવી. જ્યારે ગુજરાતમાં વર્ષોથી અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરવાની ગુજરાતીઓને લોલીપોપ આપવામાં આવે છે પરંતુ બે દાયકાના શાસન બાદ પણ ભાજપ સરકાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકી નથી.
હાલમાં કેન્દ્રમાં પણ સંપૂર્ણ બહુમતી વાળી મોદી સરકાર છે અને ગુજરાતમાં ભાજપની રૂપાણી સરકાર છે ત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં રૂપાણી સરકારને કયો ગ્રહ નડે છે ? રૂપાણી અગાઉ પોતાના વચનોમાં અમદાવાદને કર્ણાવતી કરવાના વચન આપી ચૂક્યા છે, પરંતુ શરમજનક બાબત છે કે હજુ સુધી દરખાસ્ત પણ કરી શક્યા નથી.
યોગી સરકાર ટૂંકા સમયના શાસનમાં ઝડપી નિર્ણય લઇ શકતી હોય અને અલ્હાબાદનું પ્રયાગરાજ કરી શકતી હોય તો રૂપાણી સરકાર અમદાવાદનું કર્ણાવતી કરવા માટે કોના આદેશની રાહ જુએ છે? એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે , ત્યારે વિરોધ પક્ષ દ્વારા પણ ભાજપની આ જાહેરાતને લોલીપોપ ગણાવી વોટ બેંકની રાજનીતિ જ ગણાવામાં આવી છે.