ઝીલીયા આશ્રમના ત્રણ વિદ્યાર્થીઓ ચેકડેમમાં ડૂબી જતાં કરૂણ મોત
ચાણસ્મા તાલુકાના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઝીલીયા ખાતે ધોરણ-૯ માં અભ્યાસ કરતાં અને આશ્રમમાં આવેલી હોસ્ટેલમાં રહેતાં ત્રણ વિદ્યાર્થીઓ ગાંધી જયંતિના દિવસે જાહેર રજા હોવાથી આશ્રમની નજીક પાણીથી ભરેલા ચેકડેમમાં બપોરના ચાર વાગ્યાના સુમારે ન્હાવા પડતાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રણેય કમનસીબ વિદ્યાર્થીઓનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં થતાં બાળકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. શાળા સંચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને સમયસર કરવામાં આવી ન હતી. તેમજ તાલુકા અને જીલ્લાના વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મૃતકોની લાશ શોધવાની કામગીરી સમયસર કરવામાં ન આવતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને તોફાની ટોળાંએ આશ્રમમાં પહોંચી જઇ ભારે હોબાળો મચાવી આશ્રમના સ્ટાફ તેમજ સંચાલકો સાથે ટપલી દાવ કરતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. પરિÂસ્થતિને થાળે પાડવા તેમજ સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સંસ્થામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક તરવૈયાની મદદથી ઘટનાના ૧૦ કલાક બાદ ત્રણેય વિદ્યાર્થીઓની લાશ બહાર કાઢવામાં આવી હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે શાળા સંચાલકોની બેદરકારી સામે ગૃહપતિ સહિત ત્રણ જણા વિરૂધ્ધ મૃતકના વાલીએ તા. ૦૩/૧૦/૨૦૧૮ ના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ગઇકાલે બનેલી ઘટનામાં ધોરણ-૯ માં અભ્યાસ કરતાં બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામના સાહીલ હસમુખભાઇ પરમાર, ચાણસ્મા તાલુકાના મીઠીધારીયાલ ગામના મૌલીક ભરતભાઇ રાવળ અને હારીજ તાલુકાના સાંકરા ગામના શૈલેષ મફતલાલ પરમાર (તમામ ઉં.વ.૧૪) નું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.